સર્ગ  ત્રીજો

આત્માનું  ધામ અને નવી સૃષ્ટિ

 

વસ્તુનિર્દેશ

 

          રજા અશ્વપતિએ અત્યાર પહેલાં જે બધું કર્યું  હતું તેના કરતાં વધારે જબર-જસ્ત કામ બાકી રહ્યું હતું. જેની અંદરથી અખિલ અસ્તિત્વ આવેલું છે, વિચાર વડે ન પકડાયેલું સત્ય જે જાણે છે, ને સર્વ કંઈ જોનારી દૃષ્ટિથી જ સચરાચરની સંભાળ લઇ રહ્યું છે તેની તરફ એ હવે વળ્યો. પૃથ્વી પર અત્યાર લગી ન હતું તેવું એક બળ એને જોઈતું હતું, માનવી સંકલ્પની શક્તિથી અતિમહાન એક દૈવી શક્તિની સહાય એને જોઈતી હતી, હાલ માત્ર દૂરથી જ દેખાતા એક સત્યની જ્યોતિ, સર્વશક્તિ-માન મૂળમાંથી આવતી સંમતિ એ માગતો હતો. પરંતુ ઊર્ધ્વમાંથી ઉત્તર આવ્યો નહીં. અચેત અંધારમાંથી  આવતો અવરોધ, જીવનનાં ઊંડાણોમાંથી ઊઠતો અસ્વીકાર, વસ્તુઓના ઉદભવમાંથી આવતો ઇનકાર એણે જોયો. એના પોતાના અચિત્ માં પ્રાણમાં અને મનમાં જે દગાબાજ તત્વો હતાં તેમનો બડબડાટ અને ફડફડાટ ને તેમની વિરોધી પ્રવૃત્તિ આડે આવતાં હતાં. પુરાણી આદર્શ લાગતી વસ્તુઓ ઉપરની પ્રીતિ, રૂપાળી દેખાતી અપૂર્ણતાઓ, મીઠી દુર્બળતાઓ વકીલાત કરી દયા યાચી રહી હતી. એ સૌને ભરાઈ રહેવા માટે ખાસ્સું અંત વગરનું અચિત્ એમને મળ્યું હતું.

            રાજા સાવધ બન્યો. કામનાને લોહીલુહાણ કરી એના મૂળમાંથી એણે ખેંચી કાઢી ને એનું ખાલી થયેલું સ્થાન દેવોને આપ્યું. એનો અંતરાત્મા સાગર માફક ઊમટીને આગળ આવ્યો ને એના તનમન ઉપર ફરી વળ્યો. એની ચેતના વિશ્વને ભેટવા માટે વિસ્તરી. એણે પોતાની અંદરના સર્વને અંતર્યામીનું સામ્રાજય બનાવી દીધું. એને પ્રાપ્ત થયેલી વિશ્વરૂપતામાં એનાં મન સાથે બધાં મન, એના હૃદય સાથે બધાં હૃદય, ચૈત્ય સાથે ચૈત્ય, ને એનાં માંસમજ્જા સુધ્ધાં ભૂતમાત્ર સાથે એકાકાર બની ગયાં. રાજા કૃતાર્થ બન્યો. એ અવસ્થામાં એ વિશ્વ પારના આરોહણ માટે ને વિશ્વને બચાવી લે એવા અવતરણ માટે વાટ જોવા લાગ્યો. એના માનવી

૧૨૨


વાઘા ઊતરી ગયા, સર્વશક્તિમાનની અવિચલ શાંતિમાં એ સ્થિર થયો ને એનાં અંગાંગ ઉપર પરાત્પર પરમાત્માનો હાથ મુકાયો.

              એના આત્માએ હવે તારાઓના ક્ષેત્રરૂપ અવકાશને તજ્યો. પ્રભુના શ્વાસથી એની નૌકા ચાલવા લાગી. એ એક સર્વજ્ઞ સમાધિમાં લીન થયો. સત્ , અસત્ ને એ ઉભયથી રહિત અવસ્થામાં યાત્રા કરતો કરતો એ પોતના સનાતન મૂળે પહોંચ્યો. ત્યાં કશું પાંખ ફફડાવતું ન 'તું, ત્યાં આદિ કે અંત જેવું કશુંય ન 'તું, કલ્પોનો કામદાર ત્યાં આરામમાં ઠળેલો હતો. ત્યાં હતું બ્રહ્યની નિશ્ચલ શક્તિનું સામ્રાજય, સર્વજ્ઞ અને સર્વસમર્થ કેવળ શાંતિ ત્યાં વિરાજતી 'તી. સર્વને અવલોક્તા  એક એવા બ્રહ્યાત્મા  સાથે રાજા ત્યાં રહ્યો, ને પોતે અજન્મા અને અમર બની ગયો. ત્યાં નીરવતા હતી દેવતાઓના જન્મ પૂર્વની નીરવતા. વિશ્વશક્તિ ત્યાં પરમાત્માના આદર્શની મૂક ભાવે વાટ જોઈ રહી હતી.

               પછી તો એક જીવંત એકતા રાજાના હાર્દમાંથી વિસ્તરતી અનુભવાઈ. મહા-સુખ, પ્રકાશ અને શક્તિ અને અગ્નિવિશુદ્ધ પ્રેમ એક બૃહત્ આશ્લેષમાં અંતર્ગત થયાં. અનેક જગતો હોવા છતાં તે સૌને આત્મા તો એક જ હતો. આ જ્ઞાનમાંથી એક અદભુત સર્જન સમુદભવ્યું. એમાં અસંખ્ય રૂપોમાં રમમાણ એકતાના હૃદયે સર્વનો નિવાસ હતો. કોઈ કોઈથી અળગું પડેલું ન 'તું, કેવળ પોતાની જાત માટે જીવતું ન 'તું; પ્રત્યેક પોતાની તેમ જ અન્ય સર્વની અંદરના પ્રભુ માટે જીવન ધારતું. મૌનના હૃદયમાંથી હાસ્ય ફૂટતું, શાંત અવકાશમાં સૌન્દર્ય લહેરિયાં લેતું. કાળના અગાધ જ્ઞાન હૃદયમાં જ્ઞાન  પ્રકાશતું.

                ત્યાં રાજાનું મન સંપર્ક સાધતાં અસંખ્ય મનોને પ્રત્યુત્તર આપતું. રાજાનો શબ્દ વિશ્વની વાણીના અક્ષરોનો બનેલો હતો. રાજાનું જીવન બ્રહ્યાંડની હિલચાલનું ક્ષેત્ર હતું. કરોડો કામનાઓ મેળમાં રહી એક જ લક્ષ્યની પ્રતિ ગતિમાન રહેતી. રાજાના હૃદયમાં કોટિ કોટિ જીવોનું સુખ એકનું જ હોય એવું બની ગયું હતું. એક-સ્વરૂપ સર્વસ્વરૂપ પ્રતિ ને સર્વસ્વરૂપ એકસ્વરૂપ પ્રતિ અભિલાષા રાખતો. બ્રહ્મની શુભ્ર તટસ્થતા આશ્ચર્યોની ક્રીડાભૂમિ બની ગઈ હતી. ગૂઢ એકલાની ગૂઢ શક્તિઓ ત્યાં મળતી. સનાતન દેવી પોતાના બ્રહ્યાંડમય ગૃહમાં સંચાર કરતી ને પ્રભુની માતાના સ્વરૂપમાં પોતના બાલક  સાથે રમતી. પ્રભુને માટે વિશ્વ માનું પ્રેમનું હૃદય હતું. સનાતન સત્યો પ્રભુનાં રમકડાં હતાં. ત્યાં જડતત્વ આત્માની સઘનતાનું  બનેલું હતું. કાળ ત્યાં શાશ્વતીનો પારદર્શક જામો હતો. અનંતતાના પુલિનો પર ગોચર જગત સત્યતાનું  ગ્રીષ્મગુહ હતું.

                  આ આધાત્મિક અવસ્થાઓથી સમાન્તર એવી એમનાથી ઊલટી યોજના પણ કાર્ય કરતી હતી. બે ઇનકારોનો ભેટો થતો, પોતાનામાં રહેલા આત્માને ન

૧૨૩


 જાણનારું જગત ને પોતે જે જગતને બનાવ્યું છે તેને ન જાણતો આત્મા. ત્રણ શક્તિઓ એ વિસંવાદિતા પર અમલ ચલાવતી. આરંભમાં એક અજ્ઞાન શક્તિ, મધ્યમાં પ્રયત્ને મચેલો દેહધારી જીવ, અને અંતમાં જીવનનો ઇનકાર કરતો નીરવ આત્મા.

                   અજ્ઞાનનો અંધકાર કોશેટો બનીને આપણા ઉદાત્ત ભાવિને છુપાવી રાખે છે. એની અંદર પુરાયેલો પાંખોળો ચમત્કાર સમય પહેલાં નીકળીને પોતાના સૌન્દર્યને  નિરાકાર વિરાટમાં રખે ને વેડફી મારે ને અજ્ઞેયની રહસ્મયતામાં ગરક થઇ જઈ જગતનું અલૌકિક ભાવી સિદ્ધ કર્યા વગર રખે ને એ તેને તજી દે એ એક ચિંતા રહેતી.

                    અત્યારે માત્ર ભ્રમણા માનતી એક નવી સૃષ્ટિ જૂનીમાંથી ઊભી થશે, જ્ઞાનને વાક આવશે, સૌન્દર્ય સ્વર્ગીય પ્રફુલ્લતા ધારશે, સુખદુઃખ પરિપૂર્ણ આનંદમાં નિમગ્ન થઇ જશે : પરમાત્મા પૃથ્વી ઉપર સચેતન બનશે, કાળના નૃત્યમાં શાશ્વતનાં આશ્ચર્યો  જોડાશે.

                     અશ્વપતિને જયારે દૂરનું જગત વિદેશીય જેવું જણાતું હતું, આત્મા અને શાશ્વતી, એ બે જ સત્ય જણાતા હતા, ત્યારે મથામણમાં પડેલી ભૂમિકાઓમાંથી એક સ્મૃતિ આરોહીને એની પાસે આવી. એની સાથે આવેલા પોકારને નિગૂઢ પરમાત્માના એક રશ્મિએ ઉત્તર આપ્યો.

                      છેક નીચે અણસીમ એકતા વસી રહી છે. બીજ રૂપે રહેલો જીવ ત્યાં પોતાની સર્વશક્તિમત્તાની ને સર્વજ્ઞતાને છુપાવીને રહેલો છે. રાજાને જાતનું ને પોતે શા માટે જન્મ લીધો છે તેનું ભાન હતું. પોતાનમાં બે સત્વો હતાં, એક વિશાળ, મુક્ત અને કૂટસ્થ, બીજું ઉપરનાનો અંશ ને પ્રયાસપરાયણ, બદ્ધ અને આવેગી. એ બન્નેનો સંબંધ થઇ જાય તો તે બે ભુવનો વચ્ચે સેતુબંધ બની જાય. 

                       બધું જ કંઈ સૂમસામમાં સમાપ્ત થતું નથી. રાતના દીવા જેવું રાજાનું હૃદય ક્યાંક સચેતન હતું ને એકલું નીચે ઢળેલું હતું. ત્યાંથી તે હવે ગૂઢ આરાધનાના ભાવમાં લીન બનીને પોતાના પ્રકાશના ને પ્રેમના પ્રભવ પ્રતિ વળ્યું. પોતે જેમને જોઈ શકતું ન 'તું તે ઊંચાઈઓ પ્રતિ એણે નજર નાખી, પોતે જેમને છોડી શકતું ન 'તું તે ઊંડાઈઓમાંથી એ ઝંખના કરી રહ્યું હતું. અર્ચના જ એનો એકમાત્ર ધર્મ હતો, પરમાનંદને વસ્તુમાત્રના કારણ રૂપે એણે પ્રમાણ્યો હતો; બીજું કોઈ જેમાં ભાગીદાર બની શકતું ન 'તું તે કઠોર મહાસુખનો એણે બહિષ્કાર કર્યો, શાંતિ માટે જ જે શાંતિ હતી તેનો અસ્વીકાર કર્યો, ને પોતે જેની સાથે તાદાત્મ્ય સ્થાપવા માગતું હતું તે જગદંબા તરફ એ વળ્યું. પૃથ્વી ને પૃથ્વીના માનવો માટે એ દેવીનું આગમન બધા માગતા હતા. અજ્ઞાત પ્રતિ એણે પ્રાર્થનાનો પોકાર પાઠવ્યો. માના પદધ્વનિને સુણવાની એની આશા હતી. નિ:સ્પંદ આત્મામાં થઈને આવવાવાળા પરમાત્માના આદેશના શબ્દની એ રાહ જોતું હતું.

૧૨૪


પોતે જે સૌ કર્યું 'તું તે થકી જ્યાદા

જંગી કાર્ય બાકી રહી ગયું હતું.

જ્યાંથી અસ્તિત્વ સૌ આવે તેની તરફ એ વળ્યો,

આપણાં ચિંતનો પૂઠે છે જે સત્ય, ને જે નથી ગ્રહાયલું,

તેનું છે જ્ઞાન જેને જે

જે પોતાની સર્વદર્શી દૃષ્ટિ દ્વારા ચોકી વિશ્વતણી કરે

તે રહસ્યમહીંથી એ સંજ્ઞા રૂપે ઉપસ્થિત.

ગમ્ય જેહ નથી એવી નિજ ચૈત્યતણી નિ:સ્પંદતા મહીં,

સાન્દ્ર, એકાગ્ર, ને ભવ્ય, એકાકી ને ધીરભાવ વડે ભર્યો,

સંમૂર્ત્ત આશના જેવો બેઠો 'તો એ પ્રાર્થના-પીઠિકા પરે

ગતિહીન બની જઈ.

હજુ જે ન હતું પૃથ્વી પર તેવું બળ એ માગતો હતો,

મર્ત્ય સંકલ્પને માટે અતિશે જે મહાન છે

એવી શક્તિતણી સાહ્ય એ સંપ્રાપ્ત કરવા માગતો હતો,

અત્યારે દૂરથી માત્ર દેખાતું તે સત્યની જ્યોતિ ઝંખતો,

સર્વસમર્થ પોતાના

ઊર્ધ્વવર્તી મૂળ કેરી મંજૂરી માગતો હતો.

કિંતુ આભા બનાવી દે

એવાં શૃંગોથકી એકે શબ્દ આવ્યો નહીં નમી;

હતાં આવરણો ઢાંક્યાં કાલાતીત, આવ્યો એકે ઉઘાડ ના,

અસહાયા ઉદાસીના રિક્તતાથી પીડાતાં વરસો હતાં.

બદ્ધ માનવતા કેરા સ્વાભાવિક વણાટમાં

એણે અનુભવ્યો એક પ્રતિરોધ, જંગી, કટ્ટર, નીરવ;

અચિત્ ને અંધ આધાર આપણો જે ત્યાંથી એ આવતો હતો,

ઊંડાણોમાં પ્રાણ કેરાં હઠીલો ને મૂક જે ઇનકાર છે,

ને વસ્તુમાત્રને મૂળે જે અજ્ઞાન નકાર છે

ત્યાંથી એ આવતો હતો.

નિજ દૃષ્ટિથકી છૂપો

અવગુંઠનમાં રે'તો રાત્રિ સાથે

સહકાર પોતામાંયે હતો હજુ :

નિજ પાર્થિવ સત્તામાં

હજી એવું હતું કૈંક, અચિત્ સાથે રાખતું 'તું સગાઈ જે,

કેમ કે એ અચિત્ માંથી એનો જન્મ થયો હતો.

લુપ્ત ભૂતતણી સાથે છાયારૂપક એકતા

૧૨૫


જગને ચોક્ઠે જૂને સંઘરીને રખાયલી

હતી છાની છુપાયલી,

ને તે પ્રત્યે ગયું ન્હોતું લક્ષ્ય દીપિત ચિત્તનું,

અને તે મન ને આત્મા આપે એને પસંદગી

તે માટે કાનમાં આવી જપતી 'તી હજીયે અવચેતને

અને સ્વપ્નદશામહીં.

તત્વો તેનાં દગાખોર પ્રસર્યાં 'તાં દાણા લપસણાસમાં

ને આશા રાખતાં 'તાં કે સત્ય જેહ ભીતરે આવતું હતું

તે પડે ઠોકરાઈને

અને પર્યટતા જૂના આદર્શોના અવાજ ત્યાં

રડતા સ્વરથી દિવ્ય દયા માટે આજીજી કરતા હતા

કે આપણી ધરા કેરી મનોહર અધૂરપો

અને મર્ત્ય અવસ્થાનાં મીંઠા મીંઠા દૌર્બલ્યોને મળે જગા.

બેવફા પ્રભુને જે આ હતું તત્વ તેની શોધ કરી કરી

તેને દેશપાર કાઢી મૂકવાનું નક્કી એણે કર્યું હવે.

સાવ ખુલ્લાં કર્યાં એણે છૂપાં સ્થાન સ્વભાવનાં,

અંધારાં ભોંયરાંઓ ને ખૂણાઓ સૌ શોધ્યાં અગ્નિ-સહાયથી,

જ્યાં શુભ્ર શુદ્ધિની સ્વર્ગતણી પાવક જવાળથી

બચવાને શોધતાં 'તાં આશરો અંધકારમાં

સહજવૃત્તિઓ દૂર કરાયલી

ને વિદ્રોહો રૂપબદ્ધ જેઓ હજુ થયા ન તે.

હતું અદિવ્ય તે સર્વ લાગતું 'તું નાશ પામી ગયા સમું :

છતાં કો અણુ શું છેક ભિન્ન તત્વ છટકી જાય, શક્ય તે,

ને અંધ શક્તિનું છૂપું કેન્દ્ર કોક રહે હજુ.

એનું કારણ એ છે કે અચિત્ સુધ્ધાં અનંત છે;

એના ગર્તોતણું માપ

કાઢવાનો જેમ જેમ વધુ આગ્રહ આપણો

તેમ તેમ વધારે એ વિસ્તરે છે,

વિસ્તરે છે અંત આવે ન ત્યાં સુધી.

રખે માનવ પોકાર કરી દે ભ્રષ્ટ સત્યને

એને માટે પછી એણે કામનાને

બળાત્કાર કરી ખેંચી કાઢી એનાં રક્ત ઝરંત મૂળથી,

ને થયેલી જગા ખાલી દેવોને અર્પિતા કરી.

નિષ્કલંક સ્પર્શ આમ ધારવા એ શક્તિમાન બની ગયો.

૧૨૬


સૌથી જબ્બર ને છેલ્લું રૂપાંતર થયું હવે.

મહાસાગરની જેમ અંતરાત્મા એનો આગળ આવિયો,

અને ફરી વળ્યા તેના તરંગો ત્યાં મન ને દેહની પરે;

આશ્લેષે વિશ્વને લેવા વિસ્તરેલો

એનો આત્મા અંતર્બાહ્ય  એકાકાર બનાવતો

વિશ્વવ્યાપી રાગમેળરૂપ જીવનને કરી

અંતર્યામીતણું એને મહારાજ્ય બનાવતો.

આ વિશ્વાત્મકતા એની બેશુમાર બની ગઈ

એવી કે તેમહીં એની ચૈત્ય-પ્રકૃતિએ તથા

ચિત્તભાવે સમાવેશ પોતાને અંતરે કર્યો

પ્રત્યેક ચૈત્ય-આત્માનો અને પ્રત્યેક ચિત્તનો,

એટલું જ નહીં કિંતુ બદલાઈ ગઈ બધી

જિંદગી માંસમાટીની ને શિરા-સ્નાયુઓતણી

ને જે જીવંત છે તે સૌ સાથે માંસમાટીમાં ને શિરાદિમાં

એકરૂપ બની ગઈ.

બીજાઓનો હર્ષ એને પોતાનો હર્ષ લાગતો,

ને બીજાઓતણો શોક એ પોતાના શોકના સમ ધારતો,

સારા યે વિશ્વને માટે એને હૈયે અનુકંપા ભરી હતી,

મહાસાગર જેવી વિશાળી એ

સૃષ્ટિ કેરા ભારને ધારતી હતી

ધારે છે ધરણી જેમ યજ્ઞ જીવસમસ્તનો,

નિગૂઢ પરમાત્માના આનંદે ને શાંતિએ રોમહર્ષિણી.

હતું ના ટીપણું હાવે અંતવિહિન ભેદનું,

આત્માની એકતા છૂપી એકાકાર બનાવતી,

સારો સ્વભાવ લ્હેતો 'તો એકમાત્ર મુદા ફરી;

જીવ ને જીવની વચ્ચે ફાટફૂટ હતી નહીં,

વિશ્વને ને વિભુની વચ્ચે હતો એકે ન આંતરો.

રૂપ ને સ્મૃતિની સીમા રચનારી

રેખા કેરો પરાભવ થયો હતો;

મન આચ્છાદતું ઝાલી બેળે ખેંચી કરાયું અળગું હતું,

ઓગાળી એ કાઢ્યું 'તું ને હવે એ સંભવી શકતું ન 'તું,

જેણે જગ બનાવ્યું છે તે દેખાતી હતી એકલ ચેતના;

જ્યોતિ જ્યોતિ અને ઓજ ઓજ સર્વ હતું હવે.

ક્ષુદ્ર સ્વરૂપનું ચક્ર હવે ચાલી ગયું હતું,

૧૨૭


એની અંતિમ ને આછી નિશાની યે લોપ પામી ગઈ હતી;

પૃથગ્-ભાવી હવે સત્-તા સંવેદાતી હતી નહીં;

થઇ અલોપ એ હાવે જાતનેય ન જાણતી,

હતી પ્રલય એ પામી આત્મા કેરી વિશાળી એકતામહીં.

સર્વમયતણી એક ગતિરૂપ સ્વભાવ એહનો બન્યો,

પોતાને શોધતાં એને જણાયું કે स एव સર્વરૂપ છે,

હતો પ્રતિનિધિ એનો જીવ સર્વસ્વરૂપનો,

જે એક પરમાત્મા શું થવા યુક્ત

વળી પાછો જતો 'તો સ્વ-સ્વરૂપથી.

માનુષી વિધિનું સૂત્ર થઇ પાર ગયું હતું;

પૂર્ણપાવનને છાયાગ્રસ્ત હૈયું માનવી જે બનાવતું

તેણે ધબક ધારી 'તી દેવ કેરી મહાબલી;

છે જેને જ્ઞાન તે સત્યમહીં એનું

મન ખોજ કરનારું શમ્યું હતું;

વિશ્વ જીવનનો સ્રોત્ર હતું જીવન એહનું.

કૃતાર્થ એ હતી ઊભો વિશ્વ કેરી સર્વોચ્ચ રેખની પરે,

વાટ જોતો વિશ્વ પાર લઇ જાતા ચડાવની,

વાટ જોતો વિશ્વ કેરા પરિત્રાણે આવતા અવતારની.

પ્રભાવી મહિમા એક ને પ્રતીક પૃથ્વીને વીંટળી વળ્યાં,

આવિર્ભાવો આત્મસ્થ અવલોકતા,

અને પવિત્ર વિસ્તારો ઘેરાઓ ઘાલતા હતા,

પ્રાજ્ઞ અનંતતાઓનાં સાંન્નિધ્યો નિકટે હતાં,

તેજસ્વી દૂરતાઓ યે ઝુકી પાસે સગોત્ર શી.

ઇન્દ્રિયજ્ઞાનનો લોપ થયો ભવ્યરૂપ એ વિલસાટમાં,

શ્રણજીવી સ્વરો એના શ્રવણોથી સરી પડયા,

ને વિચાર ગુમાવીને સ્વસામર્થ્થ કો થાક્યા દેવના સમો

વિશાળો ને વિભાહીન ગયો ડૂબી ગૂઢના સાગરોમહીં.

મર્ત્ય ચિંતનના વાઘા ફગાવાઇ ગયા તળે

નિરપેક્ષા દૃષ્ટિ માટે જ્ઞાન એનું અનાવૃત તજી દઈ;

સંચલન પડયું બંધ દૈવનું ને બંધ પ્રકૃતિની પડી

સદા જાગૃત પ્રેરણા :

પ્હેલવાની ઉછાળાઓ ઠરી સંકલ્પના ગયા

નિશ્ચલા શાંતિમાં સર્વસમર્થની.

પ્રાણ પોઢી ગયો એનાં અંગોમાંહે

૧૨૮


સુવિશાળ અને નિ:શબ્દતા ધરી;

નગ્ન દીવાલથી મુક્ત, ને અત્રસ્ત,

અમૃતત્વતણી દૃષ્ટિ સીમાહીન ધારી રહેલ એ.

પરવારી ગઈ છેલ્લી ગતિ ને તે સાથે સર્વ

સ્પંદહીન બની ગયું.

અદૃષ્ટ પરમાત્માના હસ્ત કેરો ભાર એની પરે હતો,

તેણે અંગો પરે એનાં બ્રહ્યમુદ્રા મારી માપી જતી ન જે,

ગળી અનંતતા એને ગઈ સીમાબંધમુક્ત સમાધિમાં.

 

ઉચ્છવાસે પ્રભુના પ્રેર્યો જેમ કોઈ નૌકા નિજ ચલાવતો

વિશાળા સાગરો મધ્ય થઇ જાય

તટો પ્રત્યે રહસ્યમયતાતણા,

નીચે અગાધ, અજ્ઞાત આસપાસ રહેલ છે,

તહીં અશ્વપતિતણા

આત્માએ તારકો કેરું ક્ષેત્ર અંધ, અવકાશ તજ્યો હવે.

માપિત જગને જે સૌ બનાવે છે તેનાથી દૂરદૂરની

ગુપ્ત શાશ્વતતાઓમાં ઝંપલાવી,

ફેણાતી મનની બાહ્ય સપાટીથી ફરી જઈ

સર્વજ્ઞાન સુષુપ્તિમાં

નિઃશબ્દ આપણામાંના વિરાટો પ્રતિ એ વળ્યો.

અધૂરી પ્હોંચ જ્યાં શબ્દ ને વિચારતણી, તે પાર ઊર્ધ્વમાં,

રૂપનો આખરી ટેકો છે તે દૃષ્ટિથકી પાર પ્રદેશમાં

પરચેતનની જ્યોતિ કેરા ઘેરા વિસ્તારોમાં વિલીન એ,

કે અલક્ષણ ને ખાલી શૂન્યાકારે કરતો એ મુસાફરી

માર્ગહીન અસંમેય મધ્યમાં સાવ એકલો,

યા અનાત્મા અને આત્મ અને આત્મવિહીનતા

પસાર કરતો જતો,

સચેત મનના સ્વપ્નકિનારાઓ પાર ઓળંગતો જતો,

અંતે જઈ પહોંચ્યો એ નિજ મૂલે સનાતન.

અશોક શિખરો માથે ઊડતો કો પોકાર ક્ષુબ્ધ ના કરે,

મર્ત્ય લીલાથકી ઊર્ધ્વે શુદ્ધ અસ્પૃષ્ટ વ્યાપ્ત છે

વાતાવરણ આત્માનું સૂમસામ અને નિશ્ચલતા ભર્યું.

ન ત્યાં આદિ, ન ત્યાં અંત;

જે સૌ છે ગતિમંતું તે સૌ છે ત્યાં શક્તિ સ્થાયી સદાયની;

૧૨૯


ક્લ્પકાળતણો કાર્યશ્રમસેવી છે ઢળ્યો ત્યાં વિરામમાં.

ચાવીએ ચાલતી કોઈ સૃષ્ટિ શૂન્યમહીં ત્યાં ફરતી નથી,

ન ત્યાં કો રાક્ષસી યંત્ર જીવ જેને વિલોકતો;

કચૂડાટ કરે ના ત્યાં જંગી યંત્રો દૈવને હાથ ચાલતાં;

એક હી હૃદયે યોગ પુણ્યની સાથ પાપનો,

સ્વયં પ્રેમતણી બાથે સંઘર્ષી અથડામણો,

અસંગતિ અને દૈવયોગનાં મૂલ્ય કાઢવા

પ્રયોગ જીવને થાય તેની પીડા ત્યાં હતી ન ભયંકરી;

ખતરો ના મન કેરા જુગારનો

તટસ્થ દેવતાઓની હોડમાં જે મૂકે જીવન આપણાં,

જ્યોતિઓ ખસતી રે'તી, ને છાયાઓ વિચારની

ન 'તી ત્યાં પડતી બાહ્યવર્તી ચેતનની પરે,

ને છે જ્ઞાન જહીં એક અજ્ઞાન ખોજનાર તે

મૂક સાક્ષી આત્મ કેરા સ્વપ્નાનુભવની મહીં

અર્ધ-દૃષ્ટ જગત્ કેરો ભ્રમ ના ઉપજાવતી,

પગલાંની જિંદગીનાં અણજોડ ઠોકરાતી પરંપરા

જોવા ત્યાં મળતી ન 'તી,

આકસ્મિક પ્રયોજાતું જિંદગીનું સ્વરૂપ ને

સત્ય ને જૂઠની એની સમતોલપ્રમાણતા

પ્રવેશી શકતાં ન્હોતાં ગતિહીન એ નિર્વિકાર રાજ્યમાં,

એમને ત્યાં જીવવાને ન 'તું કારણ કોઈ કે

અધિકારેય ના હતો :

નિઃસ્પંદ નિત્યતામાં ત્યાં નિજમાં સમવસ્થિતા,

સર્વજ્ઞા ને સર્વશક્તિમતી સ્વશાંતિમાં રહી

બ્રહ્યની નિશ્ચલા શક્તિ માત્ર રાજ્ય ચલાવતી.

વિચાર સાથ સંઘર્ષ થતો ના ત્યાં વિચારનો,

ને ન સત્ય સત્યની સાથ બાખડે,

હકની ના પ્રતિસ્પર્ધી હક સામે લડાઈ ત્યાં;

ગોથાં ખાતાં અને અર્ધ-દેખાતાં ત્યાં ન જીવનો,

એક સંયોગથી બીજા અણધાર્યા સંયોગે સંચરંત જે,

અચિત્ અચિત્ સર્જ્યાં શરીરોમાં પરાણે ધબકંત તે

હ્રદયોના દુ:ખાનુંભવ ત્યાં નથી.

નિરાપદ અને ગૂઢ ને અમંદ અગ્નિના શસ્ત્રથી સજ્યા

રખેવાળો શાશ્વતીના સત્ય કેરા મોટા આધારની પરે

૧૩૦


રાખતા 'તા સદા સ્થાપી ધર્મ એનો સનાતન,

ભવ્યભવ્ય એના અનંત ધામમાં.

મૂક અધ્યાત્મ પોતાના શયને ત્યાં નિર્વિકાર પડી પડી

પરા પ્રકૃતિ જાણે છે પોતાના આદિમૂળને,

અને નિશ્ચલ ભાવે એ નિત્ય કેરી શાંતિમાં સંસ્થિતા રહી

અનેકાનેક વિશ્વોના ચલનોને આપે છે અનુમોદનો.

સર્વ-કારણ, ને સર્વાધાર ને સર્વથી પૃથક્,

નિશ્ચલા સ્વ-અવસ્થામાં રહી સાક્ષી સમીક્ષતો,

આંખ અમિત મોટી સૌ સૃષ્ટ વસ્તુ નિરીક્ષતી.

અળગો, શાંતિમાં સૃષ્ટિ-ક્ષોભથી પાર ઊર્ધ્વમાં,

સનાતનીય શૃંગોમાં લયલીન બની જઈ

અકૂલ નિજ આત્મામાં સંરક્ષાયેલ એ રહ્યો ,

સાથી એનો હતો માત્ર एक एव વિશ્વને અવલોકતો.

મન અત્યંત ઓજસ્વી એવું કે જે ન બંધાતું વિચારથી,

પ્રાણ એવો અમર્યાદ કે આકાશ

એની ક્રીડા માટે નાનું બન્યું હતું,

એવો સીમાતીત આત્મા કે એને ના કાળની ખાતરી થતી,

આવું અશ્વપતિ માટે બન્યું હતું,

એણે અનુભવ્યો અંત વિશ્વના દીર્ધ દુઃખનો,

બન્યો આત્મા અજન્મા એ જે કદી મરતો નથી,

અનંતતાતણાં સત્રોમહીં સામેલ એ થયો.

આદિ એકાંતતા વિશ્વ-મર્મરાટ પરે પડી,

કાળ-જાયી વસ્તુઓની સાથે સ્થાપિત જે હતો

તે સંપર્ક મટી ગયો,

થઇ પ્રકૃતિની ખાલીખમ મોટી બિરાદરી.

બધી જ વસ્તુઓ પાછી અણાઈ 'તી

નિરાકાર પોતાના બીજરૂપમાં,

યુગચક્ર ઘડી માટે વિશ્વે નીરવતા ધરી.

જોકે પ્રકૃતિ પીડાર્ત્ત એણે છોડેલ જે હતી

તે વિશાળાં અસંખ્યાત નિજ ક્ષેત્રો

એની નીચે સાચવીને રહી હતી

છતાં એનું બેશુમાર મોટું કાર્ય

હઠી દૂર દૂર નષ્ટ થતું હતું,

જાણે કે આખરે જીવ વિનાનું કો સ્વપ્ન હો ન વિરમતું.

૧૩૧


ઉચ્ચ નીરવતાઓથી શબ્દ એકે નીચે ના આવતો હતો,

એનાં એકાંત વેરાનોમાંહ્યથી કો ન 'તું ઉત્તર આપતું.

અવસાનતણી શાંતિ સ્પંદહીના કરી રાજ્ય રહી હતી,

દેવોના જન્મ પૂર્વે ની વિસ્તરેલી હતી અમર ચૂપકી;

આવૃત પરમાત્માના આખરી ફરમાનની

વિશ્વવ્યાપી શક્તિ એક વાટ જોઈ રહી હતી.

 

જાણે કો સિંધુ પોતાનાં અગાધોની કરતો હોય શોધ ના

ઓચિંતાંની તેમ એક દૃષ્ટિ નિમ્ન દિશે નમી;

જીવંત એકતા એક નિજ મર્મપ્રદેશે વિસ્તૃતા થઇ

ને અસંખ્ય સમૂહોની સાથે એણે સંયુક્ત નૃપને કર્યો.

એક મહાસુખે, એક જ્યોતિએ, એક શક્તિએ,

એક જવાલા-શુભ્ર પ્રેમે

પકડી સર્વને લીધું અણમેય એક આશ્લેશની મહીં;

અસ્તિત્વે એકતા કેરે હૈયે પ્રાપ્ત પોતના સત્યને કર્યું.

ને એ ઉભય સર્વેના આત્મા સાથે અવકાશ બની ગયાં.

લયો વિશ્વતણા મોટા

એક એવા ચિદાત્માના હૈયાની ધબકો હતા,

લહેવો ભાવ એ જવાલામયી શોધ હતી પરમદેવની,

સર્વે મન હતું એક વીણા અનેક તારની,

સર્વે જીવન સંગીત હતું મિલન પામતાં

અનેક જીવનોતણું ;

કેમ કે જીવનો ઝાઝાં હતાં કિંતુ આત્મા એક જ ત્યાં હતો.

આ જ્ઞાન વિશ્વના બીજ રૂપ હાવે બન્યું હતું :

ને સુરક્ષિત આ બીજ હતું રાખ્યું પટારામાં પ્રકાશના,

એને અજ્ઞાનના કોષની આવશ્યકતા ન 'તી.

પછી વિસ્મયકારી એ મહાશ્લેષ કેરી લયસમાધિથી,

ને एक एव એ હૈયા કેરાં સ્પંદનમાંહ્યથી

નગ્ન આત્માતણા વિજયમાંહ્યથી

નવીના ને અદભુતા કો સૃષ્ટિ એક સમુદભવી.

કળી શકાય ના એવાં આનંત્યો ઊભરી જતાં,

વણમાપી મુદા કેરા હાસ્યને બ્હાર વેરતાં,

બહુતાયુક્ત પોતાની એકતામાં નિવાસ કરતાં હતાં;

છે જ્યાં સત્-તા અબદ્ધા ને વિશાળ વ્યાપ્તિએ ભરી,

૧૩૨


તે જગત્ કરતાં મૂર્ત્ત નિરહંકાર આત્મને

અતકિંત પ્રકારથી,

પ્રહર્ષ પરમાનંદી શક્તિઓનો

કરતો 'તો યુક્ત કાળ અકાળ શું,

ધ્રુવો છે જે એકમાત્ર મુદાતણા;

વૈશાલ્યો શુભ્ર દેખાયાં જ્યાં છે સર્વ લપેટાયેલ સર્વમાં.

વિપરીતો હતાં ના ત્યાં, ન 'તા ભાગો કાપી છૂટા પડાયલા,

બધા અધ્યાત્મ-અંકોડે બધા સાથે હતા ત્યાં સંકળાયલા

ને एक एव ની સાથે બંધાયેલા અવિચ્છેધ પ્રકારથી :

પ્રત્યેક અદ્ધિતીય ત્યાં

કિંતુ સર્વે જીવનોને પોતાનાં માનતો હતો,

ને અનંતતણી ભાવછટાઓને અંત પર્યંત સેવતો

પોતાની જાતમાં વિશ્વ રહેલું એ પિછાનતો.

અનંતતાતણી તેજી ઘૂમરીનું કેન્દ્ર દીપ્તપ્રભાવ એ

ધકેલાયેલ સર્વોચ્ચ નિજ અગ્રે અને ચરમ વિસ્તરે

લહેતો એ નિજાત્માની પરમાનંદદિવ્યતા

પુનરાવૃત્તિ પામેલી નિજ અન્ય અસંખ્યાત સ્વરૂપમાં.

અવ્યક્તિતરૂપનાં વ્યક્તિરૂપો ને પ્રતિમૂર્ત્તિઓ

પોતાના ક્ષેત્રમાં લેતો પરિશ્રાંત થયા વિના,

પ્રલંબાવ્યે જતો જાણે સ્વર્ગીય ગણનામહીં

સરવાળે ગુણાકારતણા હર્ષણથી ભર્યા

પુરાવૃત્તિ પાનારા શાશ્વતીના દશાંશકો.

કોઈ એ અળગું ન્હોતું, કોઈ માત્ર પોતા માટે ન જીવતું,

પોતામાં ને સર્વમાં જે હતો પ્રભુ

તેને માટે પ્રત્યેક જીવતો હતો,

પ્રત્યેક વ્યક્તિરૂપતા

અનિર્વાચ્યપણે ધારી રહેલી 'તી સમગ્રતા.

ત્યાં એકસ્વરતા સાથે હતી બદ્ધ ન એકતા;

હજોરો રૂપ પોતાનાં એ હતી બતલાવતી,

અવિકારી હતી એની સ્થિરતા જ્યોતિએ ભરી,

બળો જગતનાં જંગી નિજ ખામી વિનાના ખેલની મહીં

પરવા વણનું લાગે એવું સૂક્ષ્મ નૃત્ય જે યોજતાં હતાં,

જ્યાં નિત્યપલટો લેતાં અનિશ્ચેય પગલાં પડતાં હતાં,

ને સ્વાભાવિક સેવાનું દાસકાર્ય 

૧૩૩


જેઓ દ્વારા કરાવાતું હતું બળે,

તેમને ધારવા માટે

બદલાતું ન એવું એ હતી ક્ષેત્ર સદાકાળ સુરક્ષિત.

અભાસ નિજ આચ્છન્ન સત્ય પ્રત્યે જોતો 'તો મુખ ફેરવી

ને એકતાતણા હાસ્ય કરતા એક ખેલનું

ભેદને રૂપ આપતો;

અદ્વિતીયતણા અંશો રૂપે એણે બનાવ્યા પુરુષો બધા,

ને તે છતાંય છૂપા એ આત્મા કેરા પૂર્ણાંકો સઘળા હતા.

પ્રેમને કલહે મીઠે પલટાઈ સંઘર્ષ ગયો હતો

ખાતરીબંધ આશ્લેષ કેરા તાલમેળથી યુક્ત વર્તુલે.

સમાધાની સાધનારું સુખ એકાત્મતાતણું,

પૃથક્ તાને આપતું 'તું સુસંપન્ન સલામતી.

મળે પરમકાષ્ઠાઓ જોખમાળી જહીં તે રેખની પરે

ખેલાતો 'તો ખેલ ખેલો કેરો તૂટી પડે એ છેક ત્યાં સુધી,

આત્માના દિવ્ય લોપે જ્યાં આત્મપ્રાપ્તિ થતી હતી

એકતાના ભાવનો ત્યાં આવતો 'તો પરમાનંદ ઊછળી,

અવિભાજિત માધુર્ય જેનું સંમુદથી ભર્યું

સર્વસામાન્યતા કેરી અનુભૂતિ કરે કેવળબ્રહ્યની.

ડૂસકું દુઃખનું ક્યાંય ત્યાં જોવા મળતું નહીં;

એક હર્ષાગ્રથી બીજા હર્ષાગ્રે ત્યાં

અનુભૂતિ દોડ મારી જતી હતી :

વસ્તુઓનું હતું શુદ્ધ અને અમર સત્ય ત્યાં

પરમાનંદ એકલો.

સારી પ્રકૃતિ ત્યાં એક સચૈત્યન્ય મોખરો પ્રભુનો હતો :

સર્વમાં કરતી કાર્ય પ્રજ્ઞા એક સ્વયંસંચાલિતા અને

સ્વાત્મનિશ્ચયનિષ્ટ ત્યાં,

અસીમ જ્યોતિની એક હતી ત્યાં ભરપૂરતા,

ત્યાં પ્રામાણિકતા એક હતી અંત:સ્ફુરણાજન્ય સત્યની

સર્જક શક્તિનો એક મહિમા ને ભાવાવેગ હતો તહીં.

કૂદીને શાશ્વતીમાંથી અચૂક બ્હાર આવતો

વિચાર ક્ષણનો પ્રેરતો 'તો ક્ષણિક કાર્યને,

હૈયામાંથી મૌન કેરા

શબ્દ એક, હાસ્ય એક છલંગી આવતાં હતાં,

લય સુંદરતા કેરો શાંતિમાં અવકાશની,

૧૩૪


જ્ઞાન એક કાળ કેરા અગાધ અંતરે હતું.

વિના સંકોચ સૌની પ્રત્યે ખુલ્લે ભાવે ત્યાં વળતું હતું :

એ બધી જ્યોતિએ પૂર્ણ જિંદગીના સ્પંદતા ઉરની મહીં

હતો પ્રેમ એક એવી અવિચ્છિન્ન મહામુદા

ગાઢ ને પુલકે પૂર્ણ એકાકારસ્વરૂપતા.

એકતા સાધતી વિશ્વગ્રાહી દૃષ્ટિ હતી તહીં,

શિરાને ઉત્તરો દેતી શિરા કેરી હતી સહાનુભૂતિ ત્યાં,

વિચારને ઉરે છે જે ધ્વનિ તેને સુણનારી હતી શ્રુતિ,

અને અનુસરંતી જે હૈયા કેરા અર્થોને લયથી ભર્યા,

હતો એક સ્પર્શ જેને ન 'તી જરૂર હસ્તની

સંવેદના લહેવાને ને આલિંગન આપવા,

આ બધાં ચેતનાનાં ત્યાં હતાં સહજ સાધનો

ને તે ચૈત્યાત્મની સાથે

ચૈત્યાત્માની ગાઢતાનો  હતાં ઉત્કર્ષ સાધતાં.

અધ્યાત્મ શક્તિઓ કેરી ભવ્ય વૃન્દકવાધતા,

સ્વરગ્રામ ચૈત્ય કેરા માંહ્યોમાંહ્ય ચાલતા વ્યવહારનો,

ઊંડી મપાય ના એવી એકતાને સંવાદિત્વ સમર્પતાં.

આ નવા ભુવનો મધ્યે પ્રક્ષેપાયેલ એ બન્યો

વિશ્વને મીટમાં લેતી દૃષ્ટિનો એક અંશ, ને

અવસ્થાન જ્યોતિ કેરું સર્વસ્થાન-નિવાસિની,

તરંગ શાંતિના એકમાત્ર સાગરની પરે.

સંખ્યાતીત સંલપંતાં ચિત્તોને ચિત્ત એહનું

હતું ઉત્તર આપતું,

એના શબ્દો હતા વિશ્વ-વાણી કેરા જ અક્ષરો,

વિશ્વે વિરાટ વ્યાપેલા

ક્ષોભ કેરું ક્ષેત્ર એક હતું જીવન એહનું.

કોટી કોટી સંકલ્પશક્તિઓતણાં

પગલાંની એને સંવેદના થઇ,

એકમાત્ર ધ્યેય પ્રત્યે તાલબદ્ધ એ આગે વધતાં હતાં.

નવીન પામતો જન્મ નિત્ય નિત્ય સ્રોત ના મરતો કદી,

સહસ્રગુણ સંમોહકારી એના પ્રવાહે પકડાયલો,

રોમાંચિત થતો એની અમર્ત્યા માધુરીતણા

ભમરાઓતણી મહીં,

રાજા ત્યાંથી સંચાર કરતો હતો,  

૧૩૫


એના અંગેઅંગમાં ત્યાં ચકરાતી ગતિઓ શાંત ચાલતી

અંત આવે નહીં એવી મુદાતણી,

એકરૂપ જ છે એવા કૈં કોટિ કોટિઓતણો

પરમાનંદ એ હતો.

 

પૂર્ણતાના આ વિશાળા પ્રસ્ફોટનતણી મહીં

બદલાતા જતા વ્હેણે વસ્તુઓના સ્થિરતા નિજ લાદતી,

પ્રધોતંતી ભૂમિકાઓતણી એણે

પાયરીઓ જોઈ ક્રમિક વાધતી,

પ્રભુપૂર્ણ અવસ્થાના આ ઉચ્ચતમ રાજ્યને

અપાયેલી ઇનામમાં.

સાંધીને તાર પોતાના સાચા ધર્મતણો એકલ સત્ય શું

ઊજળી કોટિનો હર્ષ પોતાનામાં પ્રત્યેક નિવસાવતો,

પ્રત્યેક જણ સૌન્દર્યે એકલો ને પૂર્ણ આત્મપ્રકારમાં,

મૂર્ત્તિ ઢળાયલી એક ઊંડા કેવળ સત્યથી,

સુખિયા ભેદમાં સર્વ સાથે સંલગ્નતા હતી.

પડોશીના કાર્યભાગે સાહ્ય માટે સ્વશક્તિઓ

પ્રત્યેક અર્પતો હતો,

છતાં યે આપવાથી ના એને ઊણપ આવતી;

નફાખોરો નિગૂઢ વ્યવહારના

આદાને ને પ્રદાને એ વૃદ્ધિમંત થતા હતા,

અંગ પૂરક પોતાનાં અન્ય સર્વે એમને લાગતા હતા,

એકાકાર હતા તેઓ સામર્થ્થે ને સંપ્રહષે સમૂહના.

પૃથક્ નિજ સ્વરૂપોનું સંપ્રહર્ષણ માણવા

એકતા અળગી પોતે  પડી જાય, તે અવસ્થામહીંય ત્યાં

એક કેવળ પોતાના એકાંતે સર્વરૂપની

ઝંખના કરતો હતો

ને એકરૂપને જોવા બહુ પાછો વળી નજર નાખતો.

સર્વપ્રકાશિકા સર્વસર્જિકા એક સંમુદા

દિવ્ય સત્યોતણા આવિર્ભાવ અર્થે કરતી શોધ રૂપની,

આભાઓને અનિર્વાચ્ય કેરાં પ્રતીકરૂપની

તેમની પોતપોતાની અર્થયુક્ત ગૂઢતા લક્ષ્યમાં લઇ

શ્રેણીબદ્ધ બનાવતી,

ને નીરંગ હવા કેરે વિસ્તારે ઝાંય રંગની, 

૧૩૬


તેમ સાક્ષી આત્મ કેરી શુભ્રા વિશુદ્ધતા પરે

તેમને પ્રકટાવતી.

આ રંગો પરમાત્માના સમપાર્શ્વ હતા સ્ફટિક હીરકો,

હતા સૌન્દર્ય એનું ને હતા શક્તિ,અને હતા

એનો આનંદ, જે કારણ સૃષ્ટિનું.

વિરાટ સત્ય-ચૈતન્ય એક આ સૌ સંજ્ઞાઓ ઊંચકી લઇ

પસાર કરતું કોક એક દિવ્ય બાલના હૃદય પ્રતિ,

ને એ હૃદય તેઓને હાસ્યોલ્લાસ સાથે વિલોકતું હતું,

આ સર્વોચ્ચ પ્રતીકોને લીધે આનંદ પામતું,

ને જે સત્યોતણું ધામ હતાં તે તેમના સમાં

એ પ્રતીકો જીવતાં ને સત્યસ્વરૂપ લાગતાં.

બ્રહ્ય કેરી તટસ્થતા

ચમત્કારોતણી ક્રીડાભૂમિરૂપ બની હતી,

ગૂઢ અકાળતા કેરાં બળો ગુપ્ત સંકેતે મળતાં તહીં :

એણે આકાશને કીધું પ્રભુ કેરું  ધામ આશ્ચર્યથી ભર્યું,

એણે કાળપટે રેલ્યાં નિજ કર્યો જરારહિત ઓજનાં,

મનોમોહક ને મોટો હર્ષ દેનાર દર્શને

મુખ અદભુત સૌન્દર્યપૂર્ણ  એના પ્રેમનું ને પ્રભાવનું

એણે આવરણો દૂર કરી આણ્યું પ્રકાશમાં.

નિજ બ્રહ્યાંડને ધામે સંચરંતી હતી દેવી સનાતની,

રમતી પ્રભુની સાથે માતા જેમ રમે સ્વ-શિશુ સાથમાં :

પ્રભુ માટે હતું વિશ્વ માનું હૃદય પ્રેમનું,

ને જે અમર સત્યો તે એનાં રમકડાં હતાં.

લુપ્ત-આત્મ અહીંનું સૌ દિવ્ય સ્થાન પોતાનું ત્યાં ધરાવતું.

બળો જે હ્યાં કરે દ્રોહ આપણાં હૃદયોતણો

ને જે પાપે પ્રવર્તતાં,

સર્વોચ્ચ સત્યરૂપે તે હતાં ત્યાં ને હતાં પૂર્ણ પ્રમોદમાં.

નિર્દોષ એક લોકે એ હતાં ઐશ્વર્યથી ભર્યાં,

આનંત્ય પર પોતાના હતું સ્વામિત્વ તેમનું.

તહીં મન હતું એક ભવ્યસૂર્યસ્વરૂપ, જ્યાં

દૃષ્ટિનાં રશ્મિઓ હતાં,

પ્રભાવે સ્વવિચારોના ઘાટ એહ હતું દેતું પદાર્થને,

વિહાર કરતું 'તું એ સ્વ-સ્વપ્નોના મહાવૈભવની મહીં.

કલ્પનાનો ચમત્કારી દંડ મોટું વશીકરણ સાધતો,

૧૩૭


સાદ અજ્ઞાતને દેતો આવવાને હજૂરમાં

અને એને નિવાસસ્થાન આપતો,

સત્ય કેરી સપ્ત-રંગી પાંખો ચિત્તતરંગિયા

સોનેરી વાયુમાં પાર પ્રસારતો,

અથવા કરતો ગાન અંતર્જ્ઞાની હર્ષ-હૃદયની કને

ને સત્યરૂપને સમીપ લાવતા

સૂરો અદભૂતના સ્વપ્નલોક કેરા ગાયને એ પ્રયોજતો.

અજ્ઞેયને બનાવે જે પાસનું, વાસ્તવે ભર્યું,

તે તેની શક્તિએ एक પધરાવ્યો આદર્શમય મંદિરે :

વિચાર, મન, ને સૌખ્યભર્યા ઇન્દ્રિયવેદને

ઈશ-સામર્થ્યનાં શુભ્ર રૂપો એણે વસાવિયાં,

વ્યક્તિસ્વરૂપ જીવંત નિવસાવ્યાં એક પરમદેવનાં,

જે અનિર્વાચ્ચને વ્યક્ત કરે તે નિવસાવી સરસ્વતી,

અદૃષ્ટ સંનિધાનોને પ્રકટાવંત રશ્મિને,

અરૂપ જેમના દ્વારા પ્રકાશે છે તે શુદ્ધ આદિ રૂપને,

પ્રવેશ જે કરાવે છે શબ્દ દિવ્યાનુભૂતિને

અને જે ભાવાનાકલ્પો ઠઠબંધ ભરી દે છે અનંતને,

-તે સૌને નિવસાવિયાં,

વિચાર-વસ્તુતા વચ્ચે ઊંડું અંતર કો ન 'તું,

વિહંગ ઉત્તરો આપે જેમ કોઈ સાદ દેતા વિહંગને

તેમ તેઓ ઉત્તરો આપતાં હતાં;

વિચાર-વશ સંકલ્પ, ને સંકલ્પ-વશ કાર્ય થતું હતું,

જીવ ને જીવની વચ્ચે વણાયેલી હતી સુસ્વરમેળતા.

શાશ્વતી સાધના લગ્ને બનાવ્યો દિવ્ય કાળને.

ત્યાં હૈયે હર્ષ ધારીને ને હોઠે હાસ્યની છટા

જિંદગી નિજ ક્રીડાથી અવિશ્રાંતા, પ્રેભુની દૈવયોગોની

લીલાના સાહસે શુભ્ર લગાતાર રહી હતી.

એના અઠંગ ઉત્સાહે ધૂનધારી તરંગના,

રૂપાંતર પમાડંતા એના મોદ-પ્રમોદમાં

એણે કાળપટે આંક્યાં માનચિત્રો

બનાવોના મનોહારી ગૂંચાળા કોયડાતણાં,

નવીન પલટાઓથી પ્રલોભાઈ વળે પ્રત્યેક એ વળે

કદી ન વિરમે એવી જાતની શોધની દિશે.

 રૂખડા બંધ હંમેશાં રચતી એ

૧૩૮


તોડવા જે પડે સંકલ્પને બળે,

નવીન સર્જનો લાવે નાખવાને વિસ્મયે એ વિચારને,

લાવે હૃદયને માટે ભાવાવેગી કર્યો સાહસથી ભર્યાં

જ્યાં સત્ય અણધારેલા મુખ સાથે પ્રકટંતું પુનઃ પુનઃ,

યા જાણીતો હર્ષ જૂનો પુનરાવૃત્તિ પામતો,

મનોરંજક કો પ્રાસલય જાણે આવતો હોય ના ફરી.

માતૃ-પ્રજ્ઞાતણે હૈયે એ સંતાકૂકડી રમે,

વિશ્વની ભાવના જેની છે આબાદ એવી છે  એ કલાવતી,

અસંખ્યાત વિચારોને એના ના એ ખુટાડી શક્તિ હતી,

સવિચાર સ્વરૂપોમાં અંતે એના મોટા સાહસનો કદી

આવી ના શકતો હતો,

નવા જીવનનાં સ્વપ્નાં કેરા એના પ્રયોગનો

ને પ્રલોભન કેરો યે કદી અંત આવી ના શકતો હતો.

એની એ જ અવસ્થા ને ફેરફારથકી એ નવ થાકતી,

અંત આવે ન એ રીતે ચલત્-ચિત્ર નિજ એ ખોલતી જતી,

દિવ્ય પ્રમોદનું નાટય એનું એ ગૂઢતા ભર્યું,

વિશ્વના પરમાનંદ કેરું એ કાવ્ય જીવતું,

અર્થસૂચક રૂપોની ઉકેલાતી જતી એ ચિત્રમાલિકા,

વિકાસ પામતાં દૃશ્યસ્થલો કેરો વલયાકાર વીંટલો,

આત્માને પ્રકટાવંતા આકારોનું ધુમંત અનુધાવન,

ચૈત્યને શોધતા, ચૈત્ય કેરી જોશભરી એ મૃગયા હતી,

દેવોનું હોય છે તેવું શોધવું ને કરવું પ્રાપ્ત એ હતું.

તત્વ પાર્થિવ આત્માનું દૃઢરૂપ બનેલું ત્યાં ઘનત્વ છે,

સ્વરૂપની સુખે પૂર્ણ બાહ્યતાની કલાકારીગરી તથા

ચિરસ્થાયી મૂર્ત્તિઓનો ભાંડાગાર બનેલ છે

જ્યાં વિશુદ્ધ મુદા કેરું જગ એક ઇન્દ્રિયો વિરચી શકે :

શાશ્વત સુખનું ધામ હતું એ ને

જેન કોઈ મજેદાર સરાઈમાં

તેમ કાળ-ઘડીઓને આવસસ્થાન આપતું.

ઇન્દ્રિયો ત્યાં હતી દ્વારો જેના દ્વારા ચૈત્યાત્માં બ્હાર આવતો; 

મનનો સર્વથી છોટો બાલો વિચાર, તે ય ત્યાં

ઉચ્ચોચ્ચ વસ્તુઓ કેરો સ્પર્શ કોઈ સંમૂર્ત્ત કરતો હતો.

ત્યાં પદાર્થ હતો વીણા આત્મા કેરી રણત્કાર રવે ભરી,

પરમાત્મા તણા ચાલુ રે'તા વિધુદ્વિલાસને

૧૩૯


ઝાલવાને માટેની જાળ એ હતો.

પ્રેમની સાન્દ્રતા કેરી હતો ચુંબક-શક્તિ એ,

જેનો તલસતો સ્પંદ અને પોકાર ભક્તિનો

આકર્ષી લાવતો પાસે પ્રભુકેરા ઉપાગમો

ગાઢ, મીઠા અને અદભૂતતા ભર્યા.

એની નક્કરતા પિંડ સ્વર્ગ કેરી બનાવટતણો હતો;

એનામાં જે હતું સ્થૈર્ય ને સ્થાયિત્વ મીઠડી મોહિનીતણું

ને તેજસ્વી હતી કુંભી બનેલી  સંમુદાતણી.

દિવ્ય જ્ઞાનેન્દ્રિય દ્વારા વણાયેલાં હતાં એનાં કલેવરો,

ને આશ્લેષ આપતો જે ચૈત્યનો અન્ય ચૈત્યને

તેની પ્રગાઢતાને પ્રલંબાવ્યે જતા હતા,

બાહ્ય દૃષ્ટિ અને સ્પર્શતણી એની લીલા ભાવોષ્મણા ભરી

હૈયાના હર્ષનો ઓપ ને રોમાંચ કરતી પ્રતિબિંબિત,

મનના ઊર્ધ્વ આરોહી શોભમાન વિચારનું

ને આત્માની મુદા કેરું પ્રતિબિંબન પાડતી;

પ્રાણનો હર્ષ પોતાની જવાલાને ને પુકારને

સાચવી રાખતો સદા.

અત્યારે જે જતું રે' છે તે બધું ત્યાં રહ્યું અમર રૂપમાં,

અધ્યાત્મ જ્યોતિની પ્રત્યે રૂપગ્રાહી મૃદુતા દ્રવ્યની ધરી

ગૌરવે પૂર્ણ સૌન્દર્યે ને મઝાના તાલ ને મેળનીમહીં.

વ્યવસ્થાબદ્ધ હોરાઓ હતી એની ને તે શાશ્વત ધર્મની

ઘોષણા કરતી હતી;

દૃષ્ટિ આરામ લેતી 'તી મૃત્યુમુક્ત રૂપોથી રક્ષિતા રહી;

પારદર્શક પોશાક હતો કાળ તહીં શાશ્વતતાતણો.

શિલ્પી ગોચર-આલોકે જીવંત આત્મ-શૈલને

કંડારી બનાવ્યો 'તો સત્યતાનો આવાસ ગ્રીષ્મકાળનો

અનંતતાતણા  અબ્ધિતટના પુલિનો પરે.

 

અધ્યાત્મ સ્થિતિઓના આ મહિમાની વિરુદ્ધમાં

સમાનાન્તર ને તો યે પ્રતિરોધી સ્વરૂપ જે

હતા તે પ્લવતા 'તા ને પ્રભાવ પાડતા હતા,

કરતા 'તા રાહુ-કાર્ય, ને છાયારૂપ ધારતા,

જાણે ના હોય દ્રવ્યત્વ પામ્યો સંદેહ એમ એ

ઝાંખ દેતા ઝબૂકતા :

૧૪૦


આ બીજી યોજનાને બે બૃહત્કાય નકારો સાંપડયા હતા.

પોતામાં વસતો આત્મા પોતાનો જે ન જાણતું

તે જગત્ શ્રમ સેવે છે નિદાન નિજ શોધવા

ને પોતાની અસ્તિ કેરી જાણી લેવા જરૂરને;

પોતે જે વિશ્વ સર્જ્યું છે તેને જે જાણતો નથી,

જડે છે જે પુરાયેલો ને વિડંબિત પ્રાણથી,

તે આત્મા મથતો બ્હાર આવવાને અને મુક્ત થઇ જવા,

જ્ઞાન મેળવવા, રાજા બની રાજ્ય ચલાવવા;

હતા એક વિસંવાદે ગાઢ બદ્ધ બનેલ આ,

છતાં અન્યોન્યથી ભિન્ન દેશે જાતા મુદ્દલે મળતા ન આ.

શક્તિત્રયતણું રાજ્ય ચાલતું 'તું 

એની તર્કરહિતા ગતિની પરે,

આરંભકાળમાં એક જ્ઞાનવિહીન શક્તિનું,

મધ્યાવસ્થામહીં એક દેહધારી પ્રયત્નશીલ જીવનું,

ને એના અંતમાં મૌન આત્માનું જે જિંદગીને નકારતો.

એક નીરસ દુર્ભાગી મધ્યકાર્ય પૃચ્છક મનની કને

સંદેહાત્મક પોતાના સત્યનો પટ ખોલતું;

એને ફરજ પાડે છે અજ્ઞ શક્તિ ભાગ ભજવવા નિજ

ને નોંધ લેવડાવે છે નિજ પૂરી ન થયેલી કથાતણી,

રહસ્યમયતા કેરી એની સંજ્ઞારહિતા યોજનાતણી,

ને આવશ્યકતા સાથે દૈવયોગ કેરા થયેલ લગ્નથી

રાત્રિમાં જન્મ પામેલા જીવના કોયડાતણી.

આ અંધાર છુપાવે છે આપણા ભવ્ય ભાવિને.

મહાન,  મહિમાવંત સત્ય કેરો કોશેટો એ બનેલ છે,

નિજ કોષે નિરોધેલી રાખે છે એ પાંખવંત ચમત્કૃતિ,

કે રખે છટકી જાય બંદીખાનાથકી એ જડતત્વના  

ને વિરાટ નિરાકાર કાજ મારે વેડફી નિજ રમ્યતા,

ને અજ્ઞેયતણે ગુહ્યે થઇ ગરક જાય એ,

ને આશ્ચર્યભર્યું ભાવી વિશ્વ કેરું તજે સિદ્ધ કર્યા વિના.

આજ સુધી મનાતી જે માત્ર કોઈ ઉદાત્ત સ્વપ્ન આત્મનું,

યા ભ્રાંતિ કલેશથી યુક્ત માનવીના શ્રમંત મનની મહીં

એવી એક નવી સૃષ્ટિ જૂનીમાંથી ખડી થશે, 

અભિવ્યક્ત ન પામેલા જ્ઞાનને વાચ આવશે,

દાબી રાખેલ સૌન્દર્ય સ્વર્ગ કેરા પુષ્પ રૂપે પ્રફુલ્લશે,

૧૪૧


અપાર પરમાનંદે સુખદુઃખ પ્રવિલીન થઇ જશે.

જીહ્ વા વગરની દેવવાણી આખર બોલશે,

પરચેતન પૃથ્વીની પર ચેતન ધારશે,

આશ્ચર્યો શાશ્વતાત્માનાં સહયોગી બનશે કાળ-નૃત્યનાં.

પરંતુ હાલ તો સર્વ લાગ્યું એક વ્યર્થ ફાલ વિરાટનો,

સ્વ-માં લીન મૂક દ્રષ્ટા સામે ભ્રાંત શક્તિ દ્વારા રખાયલો,

દરકાર ન દ્રષ્ટાને દેખાતા તે અર્થવિહીન દૃશ્યની,

થતી પસાર એ જોતો શોભાયાત્રા ચિત્રવિચિત્ર લાગતી,

યથા વાટ જુએ કોઈ આશા રાખેલ અંતની.

જોયું એણે જગત્ એક પ્રગટેલું થવાવાળા જગત્ થકી.

જોવાના-સંવેદવાના કરતાં એ

અનુમાન વધારે કરતો હતો,

દૂર દૂર ચૈતન્ય-પ્રાંતની પરે

ગોળો ભંગુર અસ્થાયી ઘૂમરાતો જતો હતો,

ને નષ્ટ સ્વપ્નના વ્યર્થ ખોખા જેમ તેની પર તજાયલો

આત્માના કોટલા કેરી ભાંગી જાય એવી પ્રતિકૃતિ સમા

એના દેહે ગૂઢ નિદ્રામહીં એકત્રતા ધરી.

એ આકાર વિજાતીય લાગતું 'તું છાયા મિથ્થા કથાતણી.

 

વિદેશી લાગતું 'તું એ હવે અસ્પષ્ટ ને દૂરતણું જગત્,

આત્મા ને શાશ્વતી માત્ર સત્યરૂપ હતાં તહીં.

પછી મથંત ભોમોથી આરોહીને આવી એની કને સ્મૃતિ,

એક વખતની વ્હાલી

હૈયે હેતતણે સેવી વસ્તુઓનો પોકાર એક લાવતી,

ને એ પોકાર જાણે કે પોતાનો જ લુપ્ત પોકાર હોય ના

તેમ ઉત્તર દેતું 'તું તેને રશ્મિ નિગૂઢ પરમાત્મનું.

કેમ કે ત્યાંય છે વાસ અસીમા એકતાતણો.

પોતાની દૃષ્ટિથી યે ના એ પોતાને ઓળખી શક્તિ હતી,

ત્યારે યે મગ્ન એ રે'તી પોતાના જ અંધારા સાગરોમહીં,

જડતત્વતણા સંજ્ઞાવિહીન સમુદાયમાં

સંતાયેલી રહે છે એ

ને ટકાવી રાખે છે એ વિશ્વ કેરી ચેતનાહીન એકતા.

આ બીજાત્મ વવાયેલો અનિર્ધારિતની મહીં

પોતાની દિવ્યતા કેરા મહિમાને ગુમાવતો,

૧૪૨


નિજ ઓજસની સર્વશક્તિમત્તા છુપાવતો,

છુપાવતો નિજાત્માની સર્વજ્ઞાનસમર્થતા;

પોતાની જ પરા-ઈચ્છા કેરો એ કાર્યવાહક

જ્ઞાનને કરતો લીન અચિત્ કેરા અગાધમાં;

સ્વીકારી ત્રુટી ને શોક, મૃત્યુ તેમ જ દુઃખ એ

છુટકારાતણો દંડ ભરે અજ્ઞાન રાત્રિનો

ઉદ્ધારે સૃષ્ટિનો પાત પોતાના સારતત્વથી.

નિજ સ્વરૂપનું જ્ઞાન હતું એને

ને હતું જ્ઞાન શા માટે આત્મા એનો ગયો હતો

આવેગોએ ભર્યા અંધારની મહીં

ભેદ દ્વારા એકની જે કરવા પ્રાપ્તિ માગતી

તે સ્ખલંતી શક્તિ કેરા શ્રમમાં ભાગ પાડવા.

બે સ્વરૂપો હતા એહ, એહ રૂપે ઊર્ધ્વે મુક્ત અને બૃહત્,

બીજે રૂપે હતો એનો અંશ આંહીં મથંતો, બદ્ધ ઉત્કટ.

સંબંધ બેઉ વચ્ચેનો

બે લોકોને જોડનારો હજુ સેતુ બની શકે;

હતો ઉત્તર આછેરો, હતો ઉચ્છવાસ દૂરનો;

અપાર ચૂપકીદીમાં સમાપ્ત સઘળું ન 'તું.

રાત્રિદીપકના જેવું એની નીચે સુદૂરમાં

સચેત અથ એકાકી હૈયું એનું કયાંક પોઢી રહ્યું હતું;

તાજયેલું ઢળ્યું 'તું એ એકલું ને અનસ્વર,

ચેષ્ટાવિહીન અત્યંત ભાવાવેશે ભરેલા અભિલાષથી,

એનું જીવંત ને હોમ-હુત હૈયું સમર્પિત,

આરાધનાતણા ગૂઢ ભાવે લીન બની જઈ,

વળેલું નિજ દૂરસ્થ જ્યોતિના ને પ્રેમના ઉત્સની ભણી.

નિજ મૂગી આરજૂની પ્રભાવંતી શાંતિની સ્તબ્ધતામહીં

જોઈ ના શકતું પોતે તેવાં તુંગો પ્રત્યે એ દૃષ્ટિ માંડતું;

જે ઝંખાભર ઊંડાણો છોડવાને પોતે સમર્થ ના હતું

ત્યાંથી તલસતું હતું.

કેન્દ્રે નિજ વિશાળી ને ભાગ્યભાખી સમાધિના

નિજ મુક્ત અને ભ્રષ્ટ સ્વરૂપોની વચ્ચેના મધ્યમાર્ગમાં,

પ્રભુના દિન કેરી ને

મર્ત્ય કેરી રાત્રિ મધ્યે મધ્યસ્થરૂપતા ધરી,

આરાધના જ પોતાના એકમાત્ર ધર્મરૂપે કબૂલતું,

૧૪૩


આનંદ અપનાવંતું

વસ્તુજાતતણા એકમાત્ર કારણરૂપમાં,

અન્ય કો 'નો ભાગ ના જ્યાં તે કઠોર સુખને ઇનકારતું,

જે શાંતિ જીવતી માત્ર શાંતિ માટે તેને 'ના' સંભળાવતું,

જેનું બની જવાનો એ સંકલ્પ સેવતું હતું

તે દેવી પ્રતિ એ વળ્યું.

નિજ એકાંત સ્વપ્નના ભાવોદ્રેક વડે ભર્યું

ઢળેલું એ હતું બંધ ને નિઃશબ્દ પ્રાર્થનાગ્રહના સમું,

જ્યાં એકાકી ને અકંપ રશ્મિએ રુચિરાયિતા

રૂપેરી ભોમ નિદ્રામાં છે પોઢેલી નિવેદિતા

ને જ્યાં અદૃશ્ય સાન્નિધ્ય ઘૂંટણે છે પડેલું પ્રાર્થનામહીં.

કોઈ અગાધ હૈયાએ મુક્તિ દેનાર શાંતિના

બાકીના સૌ હતું તુષ્ટ શમની સ્થિરતાથકી;

આ માત્ર જાણતું 'તું કે સત્ય એક પર પાર રહેલ છે.

ભાગ બીજા બધા મૂક હતા કેન્દ્રિત નીંદરે,

વિશ્વની ત્રુટી ને શોક નિભાવી જે રહેલ છે

તે ધીરી ને વિમર્શીને કાર્ય કરંત શક્તિને

નિજ સંમતિ આપતા,

સચરાચરનો લાંબો જે વિલંબ તેને બહાલ રાખતા,

ધૈર્ય ધારંત વર્ષોના કાલરહિત ભાવથી

પૃથ્વી ને માનવો માટે પોતે જેની માગણી કરતા હતા

તેણીના આવવા કરી વાટ જોઈ રહ્યા હતા;

આ હતી ક્ષણ આગ્નેય જે તેણીને હવે બોલાવતી હતી.

એકાકી અગ્નિને એહ ઠારવાને શ્રમ નિર્માણ ના હતું;

મન કેરી અને ઈચ્છાશક્તિ કેરી

રિક્તતાને ભરતી દૃષ્ટિ એહની;

વિચાર વિરમી જાતા

અવિકારી ઓજ એનું રહેતું ને વિવર્ધતું.

ચાવી જેની હતી કોક સચલા શાંતિ એક તે

મહાસુખતણી અંત:સ્ફુરણાએ સજાયલો,

જગના ઇનકારોની રિક્તતા મધ્યમાં થઇ

જિંદગીની ભીમકાય શૂન્યતામાં મંડયો એ ખંતથી રહ્યો.

નિઃશબ્દ પ્રાર્થના એની એ અજ્ઞાત પ્રત્યે પાઠવતો હતો;

ખાલી અસીમતાઓમાં થઇ પાછી આશાઓ નિજ આવતી,

૧૪૪


તેમનાં પગલાંઓના ધ્વનિ પ્રત્યે કાન એ માંડતો હતો,

પરમેશ્વર પાસેથી સ્થિર આત્મામહીં થઇ

આદેશ-શબ્દ આવે જે તેહની એ પ્રતિક્ષા કરતો હતો.

૧૪૫


 

ત્રીજો  સર્ગ  સમાપ્ત